પૂર્વ IPS સંજીવ ભટ્ટને પાલનપુર જેલમાંથી ટ્રાન્સફર નહીં કરવા શ્વેતા સંજીવ ભટ્ટની રિટ
અન્ય જેલોમાં ભટ્ટે પકડેલા ગુનેગારોથી જીવનું જોખમ હોવાથી હાઇકોર્ટમાં અરજી કરી: તાજેતરમાં NDPSના કેસમાં દોષિત ઠરેલા અને ૨૦ વર્ષની કેદની સજા પામેલા પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને પાલનપુર જેલમાંથી ટ્રાન્સફર નહીં કરવાની દાદ માગતી રિટ તેમના પત્ની શ્વેતા ભટ્ટ દ્વારા બુધવારે હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. જે કેસની સુનાવણી જસ્ટિસ એચ.ડી. સુથાર સમક્ષ થઇ હતી.આ કેસમાં શ્વેતા ભટ્ટ તરફથી એડવોકેટે એવી દલીલ કરી હતી કે,‘સંજીવ ભટ્ટ હવે અંડર ટ્રાયલ પ્રિઝનર નથી. દરેક કેદીને પણ તમામ માનવીય અને બંધારણીય અધિકારો હોય છે. સંજીવ ભટ્ટ રાજ્યના આઇપીએસ અધિકારી હતા અને તેમણે તેમના કાર્યકાળ દરમિયાન અનેક આતંકવાદી પ્રવૃત્તિઓ અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અનેક આરોપીઓને પકડ્યા હતા. આ તમામ આરોપીઓ હાલ રાજ્યની કોઇને કોઇ સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યા છે. તેથી સંજીવ ભટ્ટના જીવને આ ખતરનાક આરોપીઓથી ભય રહેલો હોવાથી તેમને અન્ય કોઇ જેલમાં ટ્રાન્સફર ન કરવામાં આવે. સેફ્ટીના કારણોસરથી અગાઉ પણ નીચલી અદાલતે ભટ્ટને પાલનપુર જેલમાં રાખવાનો આદેશ કર્યો હતો. અમે કોર્ટને વિનંતી કરી રહ્યા છીએ કે, રાજ્ય સરકાર તે આદેશને કોર્ટ સમક્ષ રજૂ કરે. કેમ કે, હાલ અમારી પાસે એ આદેશ નથી.’
ક્રાઇમ.રિપોર્ટર રાકેશ પરમાર